
નાનપણથી આપણે બધા સાંભળતા હોઈએ છીએ કે કોઈ ને જમાડો તો પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ આપણી વચ્ચે એક એવો માણસ છે જે ખુદ બ્રાહ્મણ છે અને દરરોજના આશરે 8000 માણસોને ફકત 2 રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક કઢી-ખીચડી જમાડે છે. અમદાવાદમાં રહેતા મૂળ પાલનપુરના રાજેન્દ્ર જોશી (રાજુભાઈ) પાલનપુર તથા ડીસામાં અલગ અલગ જગ્યાએ અન્નપૂર્ણા રથ રવાના કરી રોજના આશરે 8000 લોકોની જઠરાગ્નિ ઠારે છે. આ ગુજરાતી બ્રાહ્મણે ગરીબીમાં ભૂખ કેવી હોય તે જોઈ અને જાણી છે એટલે જ ભૂખ્યા દરિદ્રનારાયણોની જઠરાગ્નિ ઠારવામાં જરાય કચાસ છોડતાં નથી. આખી કહાની અને તેમની નિષ્ઠાકાર્યને જાણી રાજુભાઈને દિલથી સલામ ઠોકવાનું આપમેળે જ મન થઈ જશે.
• માતા-પિતાની યાદમાં ચાલુ કરી હતી આ સેવા
કેશર સેવાના એકમાત્ર માધ્યમથી અન્નપુર્ણા રથની શરૂઆત માતૃ-પિતૃઓના શ્રાધ્ધના ગયા કેટલાક દિવસે તા. ૩૦/૦૯/૨૦૧૬ ના રોજ મારા માતાપિતાની યાદમાં ચાલુ કરવામાં આવેલ છે. જેમાં ટોકન રૂ.૨ ના દરે ખીચડી-કઢી નાસ્તા પેટે આપવામાં આવે છે.
નોકરી, ધંધો, કોર્ટ, કચેરી, દવાખાનું, ખરીદી તે ઉપરાંત બીજા વિવિધ કામે સમાજના દરેક વર્ગના મોભી, નોકરિયાત માણસોને બનાસકાંઠા જીલ્લાનું વડું મથક પાલનપુર છે જેથી ત્યાં અવરજવર રહે છે.
હવે સવારે – સાંજે આ બે ટાઇમ કોઈ પણ યુવક તથા યુવતી ઘરેથી સવારે જમીને નીકળે છે અથવા સાંજે ઘરે જઈને જમે છે અને બપોરના સમયે દરેક ને ચોક્ક્સ ભૂખ લાગે છે.
• શા માટે કઢી-ખીચડીનું વિતરણ
રાજુભાઈ જણાવે છે કે “ભૂખ દરેક યુવકને લાગતી જ હોય છે. મેં મારા લાઈફમાં યુવાન દોસ્તોને ઘરડા થતા જોયા છે. ભૂખ દબાવવા માટે કુબેર, તમાકુ, બીડી વગેરેનો ઉપયોગ વધે છે અને અન્ય રોગોની શરૂઆત થાય છે જેમકે બીપી, ડાયાબીટીસ, કેન્સર વિગેરે. અને યુવાધન અથવા મનુષ્ય માત્ર હેરાન થાય છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખવા પ્રયાસ કર્યો છે કે કોઈપણ લારી ઉપર ખીચડી-કઢી નું વેચાણ નથી એટલે કોઈના ધંધા પર અસર ના થાય તેની કાળજી રાખેલ છે.
• સસ્તું એટલે જેવું-તેવું નહીં
નાના બાળકો, વડીલો, બીમાર તથા હેલ્ધી સૌ કોઈ અબાલ વૃદ્ધ બધા જ સુપાચ્ય, હેલ્ધી અને સાત્વિક ફૂડ મળી રહે તે હેતુસર સદર સેવા રૂ. ૨/-ના ટોકન સ્વરૂપે ચાલુ કરેલ છે. જેમાં ખુબ જ ચીવટ રાખીને ચોખ્ખાઈ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
1000 સ્વચ્છ સરસ સ્ટીલની વાટકી, ચમચી, પીવાનું પાણી, ડસ્ટબિન અન્નપુર્ણા રથમાં મૂકવામાં આવેલ છે. જેમાં યુસ થયેલા વાસણો ગરમ પાણીમાં ધોવાય અને ફરીથી ઉપયોગમાં લેવામાં આવેલ છે. સ્ટાફ દોસ્તોને હાથમાં ગ્લવ્ઝ, એપ્રોન અને માથા ઉપર ટોપી પહેરવાની હોય છે.
• ગમે તેટલી વખતે તદ્દન લેવાની છૂટ
જોડે જોડે ફકત બે રૂપિયામાં જેટલી વખત પ્રસાદ લેવો હોય તો છૂટ છે પરંતુ બે રૂપિયા તો ફરજિયાત મુકાવાના જ. સદર સેવામાં મારા વડીલ દોસ્ત બાબુભાઈ કાઠયાવાડી દરરોજ તેમના તરફથી ૧ કિલો દેશી ચોખ્ખું ધી પણ સેવામાં પુરા બાર માસ સુધી આપેલ છે જે અભિનંદન ને પાત્ર છે.
• ગરીબીમાં જીવન પસાર કર્યું અને તેનાથી જ વિચાર આવ્યો
રાજુભાઈ જોષીનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. એક સમયે મુઠ્ઠી દાળિયા ખાઈ પાણી પીને ગુજરાન ચલાવતા હોય તેવા દિવસો પણ તેમણે જોયા છે. જો કે ધીમે ધીમે આ બ્રાહ્મણના ઘરે લક્ષ્મીજીની મેર થઈ. આજે રાજુભાઈ એક સુખી-સમૃદ્ધ જીવન જીવવા લાગ્યા છે. આ સેવા શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેની માટે તે જણાવે છે કે “સમજણ નહોતી ત્યારે પિતા સ્વર્ગલોક સિધાવ્યા તથા સમજણ વાળા થવાની તૈયારી હતી ત્યારે માતાનું અચાનક જ નિધન થયું. માં-બાપ નો સહવાસ ઓછો રહ્યો, પણ સંસ્કાર જીવનભર મળ્યા.”
• દરરોજનો ખર્ચ કેટલો થાય છે?
હમણાં આ સેવા માટે રોજના 5000 રૂપિયાનો ખર્ચ થાય છે. કેટલાક સમયે તેમને વિવિધ જીલ્લાઓમાંથી પણ ડોનેશન પ્રાપ્ત થાય છે. સેવા માટે માણસો એક રથ માટે રોજના 2100 રૂપિયા જેટલું દાન આપતા હોય છે. સદર અન્નપુર્ણા રથ નો ખર્ચ – લગભગ સરભર થઇ રહે છે. કેમ કે મોટાભાગના દોસ્તો રૂ. ૨/-થી પણ વધારે રકમ દાનપેટી માં મુકે છે જે માટે મારા જીલ્લાની ખુમારીભરી પ્રજાને હું સલામ કરું છું, નમસ્કાર કરું છું. અન્નપૂર્ણા રથ ચાર લોકોને રોજગારી પૂરી પાડે છે. જેમાં એક ડ્રાઈવર અને રસોઈયો પણ સમાવેશ થાય છે.
• પાલનપુર ઉપરાંત અહીં પણ શરૂ કરી સેવા
પાલનપુરમાં આ સેવા શરૂ કર્યા પછી તેમણે 12 એપ્રિલ 2017એ ડીસામાં પણ અન્નપૂર્ણા રથ ચાલુ કર્યો છે. આ સિવાય હવે આ સેવા અમદાવાદમાં પણ રાજૂભાઈ દ્વારા ચાલુ કરવામાં આવી છે.
• રાજુભાઈ આ સિવાય બીજું પુણ્યનું પણ કામ કરે છે
રાજુભાઈ આ અન્નપૂર્ણા રથ સિવાય વધુ એક પુણ્યનું કામ કરતા હોય છે. જેમાં ફક્ત 251 રૂપિયાની ટૉકનરૂપે નજીવી રકમ લઈને મરણપ્રસંગે અંતિમયાત્રાની સમગ્ર કિટનું વિતરણ પણ કરતાં હોય છે. આ કીટની જો આમ બજાર કિંમત જોવા જઈએ તો આશરે 2000 રૂપિયા થાય છે. હમણાં સુધી આશરે 3000 જેટલી કિટનું વિતરણ કરી ચૂક્યાં છે. મરણ પ્રસંગે આખી ફેમિલી શોકમય હોય અથવા તો બજારમાં દુકાનો બંધ હોય ત્યારે કઈ કઈ વસ્તુ લાવવી તેની સમસ્યા પડતી હોય તેવા સમયે આ તૈયાર કિટ ઘણી આશીર્વાદરૂપ લાગતી હોય છે. રાજુભાઈની આ સેવા બારેમાસ 24 કલાક ચાલુ હોય છે. રાજુભાઈએ આવી સમસ્યા પોતે ભોગવી ચૂક્યાં છે તેથી આ સેવાનો પણ પ્રારંભ કરવાનો એક અનોખો વિચાર કર્યો હતો.